પ્રત્યેક મહિલાની એવી આકાંક્ષા હોય છે કે તે તંદુરસ્ત બાળકને જન્મ આપે. આ આકાંક્ષાને પૂર્ણ કરવા માટે દરેક મહિલાએ સગર્ભાવસ્થા દરમિયાન પૂરતા પ્રમાણમાં પૌષ્ટિક આહાર લેવો જોઈએ. ગર્ભમાંના બાળકનો વિકાસ માતાના ખોરાક પર આધાર રાખે છે. એટલા માટે સગર્ભાએ એવો આહાર લેવો જોઈએ કે જે તેના પોતાના તેમજ તેના ગર્ભમાં વિકાસ પામતા બાળકના પોષણની જરૂરિયાતને સંતોષી શકે. સગર્ભાવસ્થામાં આહારનું મહત્ત્વ ઘણું જ છે. સ્વસ્થ બાળકને જન્મ આપવા માટે માતાનું સ્વાસ્થ્ય સારું હોવું જરૂરી છે. સંતુલિત આહારના સેવનથી સ્વાસ્થ્ય ઉત્તમ રહે છે. સગર્ભા માતાને આયુર્વેદમાં ‘દોહૃદ’ કહેવામાં આવી છે. એટલે કે માતાના એક શરીરમાં બે હૃદય ધબકે છે. એણે પોતાનું અને આવનારા બાળકનું-બંનેનું પોષણ કરવાનું છે. તેથી સગર્ભા સ્ત્રીની આહાર સંબંધી જરૂરિયાત સાધારણ સ્ત્રીની અપેક્ષાએ વધુ હોય છે. આ અવસ્થામાં તેને કેટલાંક પોષક તત્ત્વો જેવાં કે; કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન તથા ખનીજ તત્ત્વોની જરૂર છે.