લગભગ એક સદી પહેલાં પ્રગટ થયેલા ગિજુભાઈ બધેકાનાં શિક્ષણ વિષયક વિચારોને ઝીલતાં પુસ્તકો અને સામયિકો આજે સર્વસુલભ નથી. આવાં દુર્લભ પુસ્તકોમાંથી આજના સમય સંજોગને અનુરૂપ શિક્ષણ વિષયક, બાળચિંતન વિષયક વિચારોને તારવી તેનો સારસંચય કરવાના આશયથી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરની ગિજુભાઈ બધેકા ચેર દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. ઉત્તમ વાચકો દ્વારા થયેલો આ સારસંચય ગિજુભાઈના ઉત્તમ વિચારોની ઝાંખી કરવા ઇચ્છતા કોઈ પણ ભાવક માટે ‘ગાગરમાં સાગર’ સમાન છે.