રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (પ્રારંભિક તબક્કો)માં બાળગીતોને પ્રારંભિક તબક્કાના આનંદપ્રદ શિક્ષણ અને બાળકોમાં મૂલ્યની ખીલવણી માટે પાયારૂપ બાબત ગણવામાં આવી છે. આ અન્વયે ગુજરાતના સુપ્રસિદ્ધ બાળસાહિત્યકારો પાસેથી શિશુકાવ્યો મંગાવીને, તેમાંથી ઉત્તમ કાવ્યોનું ચયન કરીને તેનું સંપાદન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. આ અન્વયે પાંત્રીસ સર્જકોનાં પાંસઠ(૬૫) શિશુકાવ્યો પસંદ કરવામાં આવ્યાં છે. વર્તમાન ગુજરાતી બાળસહિત્યમાં શિશુકાવ્યના પ્રવાહને સમજવા માટે અને બાળકોને આનંદપ્રદ શિક્ષણ આપવા માગતા શિક્ષકો, માતા-પિતા માટે અને ખુદ બાળકોની વાંચન-જિજ્ઞાસાને પોષવા માટે આ પુસ્તક અત્યંત ઉપયોગી છે.