વર્તમાન સમયમાં ફાસ્ટફૂડનું ચલણ ખૂબ જ વધ્યું છે. લોકો બજારુ ખાદ્ય પદાર્થ અને ફાસ્ટફૂડ ખાઈને પેટ ભરી લે છે. તેનું પ્રમાણ ઘણું વધ્યું છે. તો આરોગ્ય અને તંદુરસ્તીની જાળવણી માટેની સભાનતા અતિ આવશ્યક જણાય છે. સ્વસ્થ જીવન માટે સાચો આહાર અત્યંત જરૂરી છે. શરીરના કોષો રાતદિવસ ઘસાતા જાય છે, એટલે નવા કોષોને બનાવવા માટે યોગ્ય આહાર જરૂરી છે, તેમજ શારીરિક બળનું, બુદ્ધિનું અને ચેતનનું મૂળ પણ આહાર જ છે. આ કથનને યથાર્થ કરવા રોજિંદા આહાર અંગેનું ઔષધીય જ્ઞાન આ પુસ્તિકામાં આવરી લેવામાં આવ્યું છે. શરીરને રોજિંદા આહાર દ્વારા નીરોગી બનાવવું અને જો રોગની પરિસ્થિતિ સર્જાય તો તેમાંથી ઝડપથી કેવી રીતે બહાર આવવું તેની સચોટ સમજણનો ઉલ્લેખ તથા બદલાતી ઋતુ પ્રમાણે આહારમાં ફેરફાર કરીને સ્વસ્થ રહેવાના ઉપાય આ પુસ્તિકામાં આવરી લેવામાં આવ્યા છે. પ્રસ્તુત પુસ્તિકામાં સમાવિષ્ટ કરાયેલી સઘળી માહિતી દ્વારા આપણી સંસ્કૃતિ અને પરંપરાને વૈજ્ઞાનિક ઢબે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.